News Inside/ 8 July 2023
..
ગાંધીનગર। સરકાર દ્વારા ગુજરાતમાં રહેનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં નવા 25 હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ બાબતે નિવેદન આપ્યું હતું. તે દરમિયાન તેમણે ગુજરાત માટે અનેક મહત્ત્વની વાતો જણાવી છે. તેમણે કહ્યુ છે કે, રાજ્યમાં એક પણ સરકારી શાળા સરકાર બંધ કરવામાં નહિ આવે. આઠ કે દસ વિદ્યાર્થીઓ હશે તો પણ તે શાળા ચલાવવામાં જ આવશે, શાળા બંધ નહીં કરાય.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર નવા 25,000 શિક્ષકોની ભરતી કરશે. રાજ્યની સરકારી શાળાઓમાં 16000 નવા ઓરડાઓ તૈયાર કરવામાં આવશે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને એક ગામથી બીજે ગામ અભ્યાસ માટે જવું હશે તો સરકાર ગાડીની વ્યવસ્થા પણ કરી આપશે.
ગુજરાતમાં સરકારી શાળા બંધ કરવા અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું કે, સરકારી શાળા બંધ કરવા માટે સરકારે એકપણ પગલું ભર્યું નથી. એકપણ સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં નથી આવ્યો. જે ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા 8થી 10ની છે તેમને જો બાજુના ગામમાં 5 કે 10 કિમી દૂર જવું હોય તો તેમાં પણ એક યોજના છે કે, જેમાં તે વિદ્યાર્થીને મારૂતિવાન કે વાહનની સુવિધા આપવા માટે અમે તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1થી 5ની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ-1ની પરીક્ષાઓ અધ્યતન ટેકનોલોજીના ઉપયોગથી લેવાઇ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે પ્રશ્નપત્ર કેન્દ્ર પર પહોંચાડતી વખતે જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તેનો પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પ્રશ્નપત્ર સ્ટ્રોંગ રૂમથી લઈને કે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે જીપીએસના દાયરા હેઠળ આવરી લેવામાં આવ્યું છે.