Ahmedabad| શિક્ષકો, જો આપ સ્કુલમાં મોબાઇલ વાપરતા હોવ તો હવે ચેતી જજો. કારણ કે, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદના ડીઇઓએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. અનેક સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હવે શાળામાં શિક્ષકો છૂટથી મોબાઈલ નહિ વાપરી શકે.
મોબાઈલ વાપરશો તો થશે કાર્યવાહી
અમદાવાદની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકાયો છે. શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ લગાવાયો છે. અમદાવાદના ડીઇઓએ આ પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ, સ્કુલમાં પ્રવેશતાની સાથે જ શિક્ષકોએ પોતાનો મોબાઈલ આચાર્ય પાસે જમા કરાવવાનો રહેશે. શિક્ષકો રિશેષ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકશે. જે શિક્ષકો ચાલુ શૈક્ષણિક કામગીરીમાં મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થશે. આચાર્યને મોબાઇલ રજીસ્ટર જાળવવા પણ સુચના અપાઈ છે.
ફક્ત રિશેષમાં વાપરી શકાશે મોબાઈલ
આ વિશે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ડીઇઓ કચેરીમાં કેટલાક વાલીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે શિક્ષકો શૈક્ષણિક કાર્ય સમયે મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ કરે છે. શૈક્ષણિક કાર્યના હેતુ માટે મોબાઈલનો ઉપયોગ યોગ્ય છે, પરંતુ વ્યક્તિગત કામમાં શિક્ષણકાર્ય દરમિયાન મોબાઈલ ન વાપરવા આદેશ કર્યો છે. વર્ગખંડમાં શિક્ષકો વ્યક્તિગત રીતે મોબાઈલ ન વાપરે એ ઇચ્છનીય છે. હવેથી ફક્ત રિશેષ દરમિયાન જ શિક્ષકો મોબાઈલ વાપરી શકશે. શિક્ષકોએ પોતાનો મોબાઈલ આચાર્યને જમા કરાવવાનો રહેશે, આચાર્યો વર્ગખંડના સમય દરમિયાન મોબાઈલ લોક એન્ડ કીમાં રાખશે. બાળકો પર શિક્ષકોનું પૂરતું ધ્યાન રહે, તે ઉદ્દેશથી અમે પરિપત્ર જાહેર કર્યો છે. કોઈ શિક્ષક શૈક્ષણિક કાર્ય સમયે વ્યક્તિગત રીતે મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી થશે. આ માટે આચાર્યને મોબાઇલ રજિસ્ટર પણ જાળવવા માટે સૂચના અપાઈ છે.