Politics| ગુજરાતના રાજકારણથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ મહામંત્રીના પદેથી પ્રદીપસિંહ વાઘેલાના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
2016માં બનાવાયા હતા પ્રદેશ મહામંત્રી
અમદાવાદ જિલ્લાના સાણંદના બકરાણા ગામના વતની પ્રદીપસિંહ વાઘેલાને 10 ઓગસ્ટ 2016ના રોજ ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકેનું પદ સોંપાયું હતું. પ્રદીપસિંહ વાઘેલા સૌથી નાની વયના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત થયા હતા. તે બાદ નવેમ્બર 2020માં તેમને ગુજરાત ભાજપ તરફથી રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રદીપસિંહ વાઘેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી વખતે કરી હતી શાનદાર કામગીરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પ્રદીપસિંહ વાઘેલાએ શાનદાર કામગીરી કરી હતી. પ્રદીપસિંહ વાઘેલા ચૂંટણીમાં લગભગ એટલા બધા લાઇમલાઇટમાં નહોતા આવ્યા. પણ આ ચૂંટણીમાં તેઓએ જમીની સ્તર ઉપર કામ કર્યું હોવાના કિસ્સા સામે આવ્યા હતા. પ્રદીપસિંહ વાઘેલાએ બેઠક વાઇઝ રણનીતિ ઘડીને અનેક બેઠકો પર જાતે જ કાર્યકર્તાઓ અને નારાજ નેતાઓને મનાવી પાર્ટીને જીતાડવા માટે આહ્વાન કર્યું હતું. પ્રદીપસિંહે ખુદ અનેક બેઠકો ઉપર કાર્યકર્તાઓને મળી જમીની સ્તરે એક પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યુ હતું.