Excessive water drinking causes death| પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આખા દિવસ દરમિયાન 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. તબીબો દ્વારા પણ વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. એટલા માટે ઘણા લોકો પુષ્કળ માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખે છે. તેઓ માને છે કે વધુ પાણી પીવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે પરંતુ ક્યારેક અતિશય પાણી પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.
20 મિનિટમાં જ 4 લીટર પાણી પી લીધું
અમેરિકાના ઇન્ડિયાનામાં વીકએન્ડ ટ્રીપ પર ગયેલી 35 વર્ષીય મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત નીપજ્યું હતું. એશ્લે સમર્સ નામની આ મહિલાએ માત્ર 20 મિનિટમાં જ 4 લીટર પાણી પી લીધું હતું. સામાન્ય રીતે આટલું પાણી પીવા માટે વ્યક્તિને આખો દિવસ લાગે છે, પરંતુ એશ્લેએ 20 મિનિટમાં આટલું પાણી પી લીધું જે બાદ તેનું મૃત્યુ થયુ હતું.
ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ એટલે પુષ્કળ પાણી પીધું
વાત એમ છે કે, એશ્લે સમર્સ તેના પતિ અને 2 બાળકો સાથે વીકએન્ડ ટ્રિપ પર ગઈ હતી અને તે દરમિયાન એશ્લેને ખૂબ જ ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગી અને તેના કારણે તેને વારંવાર માથાનો દુખાવો થતો હતો. શરીરને હાઇડ્રેટ કરવા માટે એશ્લેએ થોડી મિનિટમાં લગભગ 2 લીટર પાણી પીધું અને શરીરને હાઇડ્રેટ કરવા માટે માત્ર 20 મિનિટની અંદર 4 લિટર પાણી પી લીધું હતું.
અજાણતા લીધેલો નિર્ણય જીવલેણ સાબિત થયો
એશ્લેનો આ અજાણતા લીધેલો નિર્ણય તેના માટે જીવલેણ સાબિત થયો છે. આટલી મોટી માત્રામાં પાણી પીધા પછી થોડા સમય બાદ બેભાન થઈને પડી ગઈ અને એ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેનું મગજ ગંભીર રીતે ફૂલી ગયું હતું. સોજાને કારણે શરીરના ભાગોમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયુ હતું. હોસ્પિટલમાં લઈ જવા છતાં તેને બચાવી ન શકાઈ. એશ્લેના આકસ્મિક મૃત્યુથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. એશ્લેના મૃત્યુનું કારણ હોસ્પિટલના ડૉક્ટરોને પૂછવા પર, તેઓએ જણાવ્યું કે એશ્લેના અચાનક મૃત્યુનું કારણ પાણીનું ઝેર હતું.
વધુ પાણી પીવાથી આવી સમસ્યા થાય છે
ડોકટરોએ એશ્લેના પરિવારને જણાવ્યું હતું કે, તેનું મૃત્યુ પાણીમાં રહેલ ઝેરી અસરથી થયું હતું. જો કે પાણીના ઝેરની સમસ્યા બહુ ઓછી જોવા મળે છે પણ જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી આવી સમસ્યા સર્જાય છે. આના કારણે શરીરમાં પોટેશિયમ, ક્લોરાઇડ અને સોડિયમના ઇલેક્ટ્રોલાઇટ્સ લોહીમાં ભળી જાય છે. તેના લક્ષણો છે ઉલટી, માથાનો દુખાવો, મૂંઝવણ, થાક, ઉબકા, હુમલા વગેરે.
જબરદસ્તીથી પાણી પીવાની કોશિશ ન કરવી
ડોક્ટર્સનું કહેવું છે કે લોકોએ તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, જબરદસ્તીથી પાણી પીવાની કોશિશ ન કરવી જોઈએ. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોએ દિવસમાં 1.5 લિટરથી 2.5 લિટર પાણી પીવું જોઈએ, પરંતુ જો ખૂબ જ ગરમી હોય તો દિવસમાં 3 લિટર સુધી પાણી પી શકાય છે.