5 મહિનાની ગર્ભવતી પર સામુહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા એ દુર્લભ અપરાધ નથી: કેન્દ્ર અને રાજ્ય સરકાર

by Dhwani Modi
Bilkis bano case in supreme court, News Inside

Gujarat riots| કેન્દ્ર અને ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની અકાળે મુક્તિને યોગ્ય ઠેરવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે 11 દોષિતોએ કોઈ દુર્લભ અપરાધ કર્યો નથી. તેમને સમાજમાં સુધારો કરવા અને ફરીથી જોડાવાની તક આપવી જોઈએ. કેન્દ્ર અને રાજ્યની આ દલીલ પર સરકારને, સુપ્રિમ કોર્ટે પૂછ્યું છે કે માફીની નીતિ (remission policy) કેટલાક ખાસ વ્યક્તિઓને પસંદ કરીને કેમ લાગુ કરવામાં આવી? બાકીના કેદીઓને 14 વર્ષની સજા બાદ પણ મુક્તિની રાહત કેમ ન મળી?

‘મોતની સજા નથી મળી’
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ અરજદારોની દલીલોનો જવાબ આપ્યો અને જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચ સમક્ષ રજૂઆત કરી કે 11 નિર્દોષ દોષિતોનો ગુનો દુર્લભ ઘટનાઓમાંનો એક નથી. તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો ન હતો, પરંતુ તેમને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. એસ.વી.રાજુએ કહ્યું કે 14 વર્ષની સજા ભોગવ્યા બાદ તેમને નિયમ મુજબ મુક્તિ અને સમય પહેલાં મુક્તિનો લાભ મળ્યો છે. એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે કાયદો એવું નથી કહેતો કે દરેકને સજા થવી જોઈએ અને ફાંસી આપવી જોઈએ, પરંતુ લોકોને સુધારાની તક આપવી જોઈએ.

બાકીના કેદીઓને કેમ મોકો નથી મળતો?
સુપ્રીમ કોર્ટની બેંચ એસ.વી. રાજુની દલીલ સાથે સંમત થઈ હતી, પરંતુ જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચ એ જાણવા માગતી હતી કે જેલમાં અન્ય કેદીઓના સંબંધમાં કાયદાનો કેટલો અમલ થઈ રહ્યો છે. બેંચે રાજુને કહ્યું કે, માત્ર થોડા કેદીઓને નહીં, પરંતુ દરેક કેદીઓને સુધારણા અને પુનઃ એકીકરણની તક આપવી જોઈએ. પરંતુ જ્યાં દોષિતોએ 14 વર્ષની સજા પૂરી કરી છે ત્યાં માફીની નીતિ કેટલી હદે લાગુ કરવામાં આવી રહી છે? શું તે તમામ કેસોમાં અમલમાં છે? એડિશનલ સોલિસિટર જનરલે જવાબ આપ્યો હતો કે તમામ રાજ્યોએ આ પ્રશ્નનો જવાબ આપવાનો રહે છે અને મુક્તિ નીતિ દરેક રાજ્યમાં બદલાય છે. રાજુએ કહ્યું કે જેઓ 14 વર્ષની જેલની સજા પૂરી કરી ચૂક્યા છે. તેઓ તેને લાયક છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે, બિલ્કીસ બાનો કેસના દોષિતો માટે જેલ સલાહકાર સમિતિની રચના કયા આધારે કરવામાં આવી? સલાહકાર સમિતિની વિગતો આપો. કોર્ટે સરકારને પૂછ્યું કે જ્યારે ગોધરા કોર્ટે ટ્રાયલ ચલાવી ન હતી તો તેનો અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો? સુપ્રીમ કોર્ટમાં બિલ્કીસ બાનોની અરજી પર હવે 24 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગયા વર્ષે મુક્ત કરાયા હતા
2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેના પરિવારના 7 લોકો માર્યા ગયા હતા. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ ગયા વર્ષે 15 ઓગસ્ટ, 2022ના રોજ ગુજરાત સરકારની એક સમિતિના અહેવાલને પગલે આ દોષિતોને સમય પહેલાં છોડી દેવામાં આવ્યા હતા. આ દોષિતોની મુક્તિ પર, તેઓનું ફૂલો અને હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે ગોધરાના ભાજપના ધારાસભ્યે તેમને સંસ્કારી બ્રાહ્મણ ગણાવીને તેમનો બચાવ કર્યો હતો. ગત વર્ષે જ બિલ્કીસ બાનોએ આ દોષિતોની મુક્તિ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે નિયમિત સુનાવણી ચાલી રહી છે.

Related Posts