ઇન્ડિગો અને અકાશા એરની ડોમેસ્ટિક ફ્લાઈટના પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પરથી ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) પર આધારિત ડીજી યાત્રાથી પેપરલેસ યાત્રા કરી શકશે. અસલ (ફિઝિકલ) આઈડી પ્રૂફની જરૂર નહિ પડે.ડીજી યાત્રા એપથી પ્રથમ સપ્તાહમાં 4000થી વધુ પેસેન્જરોએ યાત્રા કરી છે.
ડીજી યાત્રાના ઉપયોગ થકી હવાઈ મુસાફરી કરનાર મુસાફરોએ ટિકિટ કે બોર્ડિંગ પાસની પ્રિન્ટઆઉટ સાથે રાખવાની જરૂર નથી. અમદાવાદ એરપોર્ટ પર અમલી નવી બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમથી ચેક-ઇન, સુરક્ષા અને બોર્ડિંગ પ્રક્રિયા ઝડપી અને સરળ બની છે. જેથી મુસાફરી કરતા પેસેંજરોનો 10 થી 15 મિનિટ જેટલો સમય બચી જાય છે. 3 મેના રોજ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 1થી આ ટેક્નોલોજીની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. ટ્રાયલ બાદ અકાશા અને ઇન્ડિગો એરલાઇન્સના પેસેન્જર ડીજી યાત્રાની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. આગામી સપ્ટેમ્બર સુધીમાં તમામ એરલાઈન્સોનો પણ તેમાં સમાવેશ થઈ જશે.
પેસેન્જરનો ચહેરો સ્કેન થશે અને સરળતાથી પ્રવેશ મળશે
- IOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ડીજી યાત્રા મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે.
- રજીસ્ટ્રેશન બાદ પેસેન્જરને હવાઈ મુસાફરી માટે યુનિક ડીજી યાત્રા આઇડી પ્રાપ્ત થશે.
- ડીજી આઇડી હવાઈ મુસાફરના પીએનઆર નંબર સાથે લિંક કરાશે અને તે પોર્ટલ પર ઉપલબ્ધ હશે.
- ડીજી યાત્રા પેસેન્જરના ચહેરાના બાયોમેટ્રિક્સને ફક્ત સ્કેન કરીને પ્રવેશ, સિક્યોરિટી ચેકપોઇન્ટ્સ અને બોર્ડિંગ ગેટમાંથી એન્ટ્રી જેવા અનેક લાભો મળશે.
- ફ્લાઈટ ઉપડવાના 6 કલાક પહેલા સુરક્ષા કર્મચારીઓને વિગતો મોકલી અપાતી હોવાથી મુસાફરી સરળ અને ઝડપી બને છે.