Mission Aditya L1| ચંદ્ર બાદ હવે સૂર્ય તરફ કદમ વધારવા ફરી એકવાર ઈસરો તૈયાર છે. ચંદ્રયાન બાદ આદિત્ય L1 મિશનનું લોંચ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે આદિત્ય L1 ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ મિશન આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી PSLV-C57 રોકેટથી લોન્ચ કરાશે. શરૂઆતમાં આદિત્ય L1ને પૃથ્વીની નીચલી કક્ષામાં પ્રસ્થાપિત કરાશે, ત્યારબાદ ધીરે ધીરે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી સૂર્યના નજીક L1 પોઈન્ટ તરફ સફર શરુ કરશે.
લોન્ચથી L1 પોઈન્ટ સુધીની યાત્રામાં આદિત્ય L1ને ચાર મહિનાનો સમય લાગશે, જેનું અંતર પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. આ ખાસ મિશનમાં 8 સપ્ટેમ્બરથી પીઆરએલ દ્વારા તૈયાર કરાયેલુ વિશેષ ઇન્સ્ટ્રુમેન્ટ ASPEX કામ કરતું થશે. વર્ષ 2015-16થી આદિત્ય L1 મિશન અંતર્ગત પીઆરએલના વૈજ્ઞાનિકો ASPEX એટલે કે ‘આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપરિમેન્ટ’ તૈયાર કરી રહ્યા હતા.
PRLના ડિન પ્રોફેસર ડી.પલ્લમ રાજુએ કહ્યું કે, અનેક વર્ષોથી અમે સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છીએ. ધરતી પર આવતા કિરણોનો અભ્યાસ થઈ રહ્યો છે પણ જે પાર્ટિકલ ધરતી સુધી નથી આવતા હવે તેનો અભ્યાસ કરવાનો છે. ધરતી પરથી શક્ય સંશોધન થઈ જ રહ્યા છે, પણ જ્યાં સુધી જવું શક્ય નથી એનું સંશોધન આદિત્ય L1 કરશે. સોલાર વિન્ડના કારણે થતી અસરો અંગેનો અભ્યાસ આદિત્ય L1ના માધ્યથી કરીશું.
PRLના વૈજ્ઞાનિક ડોક્ટર શણમુગમે કહ્યું કે, ASPEX ઇન્સ્ટ્રુમેન્ટ અમે બનાવ્યું છે, જેના બે ભાગ છે. ASPEXમાં SWIS એટલે કે સ્વીસ વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર તેમજ STEPS એટલે કે સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટરનો સમાવેશ થાય છે.
ડોક્ટર પ્રશાંત કુમારે કહ્યું કે, આદિત્ય L1 જ્યારે તેના ઓરબિટમાં જશે ત્યારે SWIS એટલે કે સ્વીસ વિન્ડ આયોન સ્પેક્ટ્રોમીટર કામ કરવાનું શરૂ કરશે. SWISમાં બે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે તેની ચારેય તરફથી આવતા પાર્ટિકલનો અભ્યાસ કરશે, જેને ચલાવવા હાઇ વોલ્ટેજની જરૂર રહે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટને નિયંત્રિત કરવા અને ડેટા પ્રોસેસ કરવા માટે અલગથી યુનિટ પણ તૈયાર કરાયું છે.
ડોક્ટર શિવકુમાર ગોયલે કહ્યું કે, STEPS એટલે કે સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર 20 હજાર ઈલેક્ટ્રોન વોલ્ટથી 20 લાખ ઈલેક્ટ્રોન વોલ્ટ મેજર કરી શકશે. L1 પોઈન્ટ પર પહોંચી સૂર્ય સિવાય અન્ય જગ્યાઓથી પણ પાર્ટિકલ આવતા હોય છે જેને મેજર કરી શકાશે. 8 સપ્ટેમ્બરથી PRLએ બનાવેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તેનું કામ શરૂ કરી દેશે.
PRLના પ્રોફેસર દિવ્યેન્દુ ચક્રબર્તીએ કહ્યું કે, ASPEX ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવુ છે જે ચારેય દિશામાંથી આવતા પાર્ટિકલનો અભ્યાસ કરશે, જે પહેલા કોઈએ કર્યું નથી. L1 મિશનની લાઈફ પાંચ વર્ષની હોય છે પણ ઈતિહાસ કહે છે કે તે 15 થી 20 વર્ષ સુધી અધ્યયન કરતું રહે છે.
ઉલ્લેખનીય છે કે, સૂર્યની ગતિવિધિનો ગહન અભ્યાસ કરવાનો ભારતનો આ પ્રથમ સ્વદેશી પ્રોજેક્ટ છે. મિશન આદિત્ય L1ના માધ્યમથી ઈસરો સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, અને કોરોનાનો અભ્યાસ કરશે. સૂર્યમાં થતી ભયાનક ગતિવિધિની અસર પૃથ્વી પર કેવી અને કેટલી થાય છે તેનો પણ અભ્યાસ થશે.