Ambaji, Banaskantha| યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, આ મહિનામાં એટલે કે 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. આ તરફ હવે યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા ગબ્બર પર્વત પર પગથિયાનું સમારકામ કરવામાં આવશે. જેને લઈ ગબ્બર ચઢવાનો એક-એક રસ્તો ક્રમશ 4-4 એટલે કે 8 દિવસ સુધી બંધ રહેશે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. આ વર્ષે પણ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાવાનો હોઇ તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ અંબાજીના ગબ્બર પર્વત પર યાત્રીકોની સુવિધા માટે પગથિયાંનું સમારકામ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
8 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો
વિગતો મુજબ અંબાજીના સુપ્રસિદ્ધ ગબ્બર પર્વત પર આગામી દિવસોમાં પગથિયાંનું સમારકામ શરૂ કરવામાં આવશે. જેને લઈ ગબ્બર ચઢવાનો એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે. જે મુજબ 1થી 4 સપ્ટેમ્બર સુધી ગબ્બર ચઢવાનો એક રસ્તો બંધ રહેશે. જેથી બીજા રસ્તેથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જે બાદમાં 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન બીજો રસ્તો બંધ રહેશે.
ભાદરવી પૂનમના મેળાને લઈને પગથિયા રિપેરિંગનું કામ કરવામાં આવશે. મહત્વનું છે કે, સપ્તાહમાં કામ પૂરું થયા બાદ બન્ને માર્ગ શરુ કરવામાં આવશે. વિગતો મુજબ મેળામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આ તૈયારી કરવામાં આવી છે.