Anand| આણંદ જિલ્લાના બોરસદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આણંદના બોરસદની સબજેલમાંથી 4 કેદી ફરાર થઈ ગયા છે. આ કેદી પ્રોહિબિશન અને બળાત્કારના આરોપી છે. કેદીઓ બેરેકના સળિયા નીચેનો લાકડાનો ભાગ કાપીને ફરાર થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, બોરસદની સબજેલના બેરેકમાંથી ચાર કેદી ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે બેરેકના સળીયા નીચેનો લાકડાંનો ભાગ કાપી સળિયા ઊંચા કરી ચાર કેદી ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. આ કેદીઓ જેલની દીવાલની બહાર આવેલી ખંડેર ઓરડીના પતરાં પર ચઢી 20 ફૂટ ઊંચી દીવાલ કૂદી ફરાર થયા હોવાનું પોલીસનું અનુમાન છે.
ફરાર થઈ ગયેલા કેદીઓમાં એક હત્યાનો આરોપી, એક પ્રોહિબિશન અને બે બળાત્કારના આરોપી છે. આ કેદીઓ મધરાતે અન્યોની ગાઢ ઊંઘનો લાભ લઈને રાત્રીના બે વાગ્યાના સુમારે બેરેક નંબર 3 માંથી ફરાર થઈ ગયા હતા. અત્રે જણાવવાનું કે, અગાઉ પણ અનેકવાર બોરસદ સબજેલમાંથી કેદીઓ ફરાર થવાની ઘટના બની છે. હાલ તો જિલ્લાભરની પોલીસ ફરાર કેદીઓને શોધવા કામે લાગી ગઈ છે.