Ahmedabad| ગુજરાત સહીત સમગ્ર દેશમાં શ્રાવણ મહિનાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન ભોલેનાથને રીઝવવા લોકો પૂજા અર્ચના કરતા હોય છે. આ મહિનામાં અનેક તહેવારો આવે છે. ગુજરાતમાં તથા ખાસ કરીએ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારનું ખુશ મહત્વ છે. આ દરમિયાન ગંજીફાની રમત ખુબ પ્રચલિત છે. તેવા કેટલાક ગુનાખોરો તેમાં જુગારની પ્રવૃત્તિ આચરતા હોય છે. શ્રાવણ મહિનો શરુ થતા જ પોલીસ વિભાગ પણ આવા જુગારધામ પર ચાંપતી નજર રાખીને બેઠા હોય છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા જ આવા જુગારધામ વરસાદી દેડકાની જેમ બહાર આવવા લાગે છે.
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા જુગારધામનો LCB ઝોન-2ની ટીમ દ્વારા પર્દાફાશ થયો છે. આ જુગારધામમાંથી કોઈન તથા પૈસા પાનાથી હાર જીતનો રમી જુગાર રમતા 19 આરોપીની LCB ઝોન-2ની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂપિયા 1 લાખથી વધુની રોકડ રકમ સહીત કુલ 3 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ક્યાં ધમધમી રહ્યું હતુ જુગારધામ?
અમદાવાદ શહેરના પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિક અને અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના આદેશથી હાલમાં શહેરમાં ધમધમી રહેલા જુગારધામ અને અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા ડ્રાઇવ યોજવામાં આવી છે. જે હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતી જાગૃતિ સ્કૂલની પાછળ બિલાલ પાર્ક સોસાયટીમાં ચાલી રહેલ જુગારધામનો LCB ઝોન 2ના નાયબ પોલીસ કમિશનર શ્રીપાલ શેષમાની ટીમ દ્વારા પર્દાફાશ કરી જુગાર રમી રહેલા 19 આરોપીનીધરપક્ડ કરવામાં આવી છે.
કોની માલિકી હેઠળ ચાલી રહ્યું હતું જુગારધામ?
શહેરના સરખેજ વિસ્તારમાં જાગૃતિ સ્કૂલની પાછળ આવેલ બિલાલ પાર્કમાં ચાલી રહેલા જુગારધામનો મુખ્ય આરોપી ઇકબાલ મુસાભાઇ ઘાંચીવોરા(ઉં.વ.46) હાલમાં પોલીસ ગિરફ્તમાં છે. આરોપી પાસેથી પોલીસે રોકડ રૂપિયા 12,160 તથા જુગારમાં વપરાતા કોઈનના દરના રોકડ રૂપિયા 92,640 મળીને કુલ રૂ. 1,04,800 તથા વિવિધ કંપનીના 3 મોબાઈલ ફોન સહીત 6 જેટલા વહાણો જપ્ત કર્યા છે. આ જુગારધામનો અન્ય એક મુખ્ય આરોપી ઈરફાન મુસાભાઇ ઘાંચીવોરા હાલમાં ફરાર હોઈ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ આરોપીને વોન્ટેડ જાહેર કરી અન્ય ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.