સાળંગપુર ભીંતચિત્રો વિવાદમાં આવ્યો મોટો વળાંક, હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ કહ્યું ‘મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો’

by Dhwani Modi
Salangpur mural controversy complainer gave big statement on complain, News Inside

Salangpur murals controversy| સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર કરનાર સામે ફરિયાદને મામલે ફરિયાદી ભૂપત ખાચરને ફરિયાદી બતાવવા મામલે મોટો ખુલાસો થયો છે. પોતાની જાણ બહાર ફરિયાદી બતાવ્યું હોવા નું ભૂપત ખાચરે એક વીડિયો જાહેર કરીને નિવેદન આપ્યું. ભૂપત ખાચરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, ઘટના સમયે તે પોઈન્ટ પર મારી ફરજ હતી. ઓફિસમાં મારી પાસે કોરા કાગળ પર સહી કરાવી. સોશિયલ મીડિયાથી મને ખબર પડી કે મને ફરિયાદી બનાવ્યો છે. મારી જાણ બહારજ મને ફરિયાદી બનાવાયો છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો
સાળંગપુર ભીત ચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ વીડિયો બનાવી ખુલાસો કર્યો છે. ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાચરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે વીડિયોમાં કહ્યું કે, “હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું, જે દિવસે ભીંત ચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડયુટી ત્યાં જ હતી. બનાવ બન્યાં ને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછાયુ હતું કે તમે ત્યાં જ હતા? ત્યાર બાદ ઓફિસમાં એક કાગળ ઉપર મારી પાસેથી સહી કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું.”

સાળંગપુરમાં મંદિરમાં બંદોબસ્ત વધારાયો
આમ, ભીંત ચિત્રોને કલર કરવાના કેસના ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાચરના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી રહ્યો છે. તો બીજી તરફ, વિવાદ બાદ સાળંગપુર મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાળંગપુર મંદિરમાં ભક્તો દર્શન કરી રહ્યાં છે. વિવાદ વકરતા સાળંગપુર મંદિરની સુરક્ષા વધારી છે. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સુરક્ષા વધારી દેવાઈ છે. તહેવાર ટાણે સાળંગપુર મંદિરમાં એક તરફ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેથી સ્થાનિક પોલીસ સહિત SRP ની ટીમો તૈનાત કરાઈ છે. ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર હર્ષદ ગઢવીને આજે કોર્ટમાં રજૂ કરાશે. જામીન ન મળે તો હર્ષદ ગઢવીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાશે.

વિવાદનો હજી કોઈ ઉકેલ નહિ
સાળંગપુર મંદિર ભીંત ચિત્રો વિવાદમાં હાલ કોઈ ઉકેલ આવ્યો નથી. ગઈકાલની વડતાલ ગાદી સ્વામિનારાયણ મહંતોની બેઠકમાં પણ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. વિવાદિત ભીંત ચિત્રો મામલે નિર્ણય લેવા વડતાલ સ્વામિનારાયણ મહંતોની સમિતિ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમિતિની રચના, સભ્યો, મુદત મામલે કોઈ સપષ્ટતા પણ કરાઈ નથી. બીજી તરફ મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત છે. સ્થાનિક પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાની વધારાની પોલીસ અને SRP ટુકડી પણ ગોઠવાઈ છે. ભીંત ચિત્રો પર કાળો કલર અને કુહાડી ફેરવનાર હર્ષદ ગઢવીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. આરોપીને જામીન મળે છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાય છે એના પર સૌની નજર છે.

Related Posts