Devbhumi Dwarka| દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવાયો છે. રાત્રિના 12 વાગ્યે ભગવાનનો જન્મ થતાં જ ભક્તોએ નંદ ઘેર આનંદ ભયોના નાદ લગાવ્યા તમામ ભક્તોએ ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી. ભગવાનનો જન્મ થતાં જ મંદિરોમાં “હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી”ના નાદથી ગુંજી ઉઠ્યા. તો આ તરફ દેશભરમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ત્યારે મથુરા, દિલ્લી અને વૃંદાવનમાં પણ ભગવાનના જન્મોત્સવ સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે જગત મંદિર દ્વારકામાં અનોખું ચિત્ર જોવા મળ્યું. દ્વારકા મંદિરમાં મુસ્લિમ ભાઈઓએ કૃષ્ણના વધામણા કર્યા હતા. કાન્હા વિચાર મંચની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ ભગવાનના રથને ખેંચીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું હતું.
કૃષ્ણજન્મોત્સવની ઉજવણીમાં દ્વારકાના મુસ્લિમો પણ સામેલ થાય છે. જે આજકાલથી નહીં, પણ અનેક પેઢીઓથી કોમી એખલાસનો માહોલ અહી જોવા મળે છે. જન્માષ્ટમી નિમિતે દ્વારકામાં કાન્હા વિચાર મંચની ભવ્ય શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મુસ્લિમ સમાજના ભાઈઓએ ભગવાન શ્રી કૃષ્ણના રથને ખેંચીને વ્હાલાના વધામણા કરાયા હતા. કાન્હા વિચાર મંચની રથયાત્રામાં દ્વારકાના નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
શ્રીકૃષ્ણની નગરીમાં મુસ્લિમોની આસ્થા હંમેશા ચર્ચામાં રહે છે. દ્વારકાનો મુસ્લિમ પરિવાર ત્રણ પેઢીથી દ્વારકાધીશ મંદિરના પ્રાંગણમાં ઢોલ અને શરણાઈ વગાડે છે. દ્વારકા મંદિરે આવતી ધ્વજાના સામૈયામાં ફિરોજભાઈ ઢોલ વગાડી પોતાનું ગુજરાન ચલાવે છે. દ્વારકામાં રહેતા ફિરોઝભાઈ મંદિર પરિસરમાં ઢોલ વગાડે છે. ફિરોઝભાઈના પિતા અને દાદા પણ અહીં ઢોલ વગાડતા હતા. ફિરોઝભાઈ પણ પોતાના પિતા પાસેથી ઢોલ વગાડતા શીખ્યા છે. દિવસ દરમિયાન મંદિરમાં પાંચ ધ્વજા ચડે છે. ત્યારે ધ્વજાના સામૈયા સમેય ફિરોઝભાઈ ઢોલ વગાડે છે.