RTO| ગુજરાતમાં નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે, હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે.
ડિલર્સે કરવાની રહેશે કામગીરી
હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.
RTOના ધક્કા નહીં ખાવા પડે
આજથી નંબર પ્લેટ વગર શોરૂમ સંચાલકો વાહનોની ડિલીવરી કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.
નંબર પ્લેટ વગર RTO દ્વારા શોરૂમ સંચાલકો સામે કરાશે કાર્યવાહી
જો કોઈ નંબર પ્લેટ વગરનું નવું વાહન રસ્તા પર ફરતું દેખાશે તો ડિલર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કાઈ શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો RTO દ્વારા તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.
એક અઠવાડિયા જેટલો સમય લાગતો
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે ચાલતી પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવતા હતા. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ આ નંબરની HSRP નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે તો તેમાં વધારે સમય લાગતો હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.