ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ચાર દરવાજા 5 ફુટ ખોલી 28366 ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદના પગલે 28366 ક્સુસેક પાણીની ધરોઈ ડેમમાં આવક થઈ છે. હાલ ઘરોઇ ડેમ 92.80 ટકા ભરાયો છે. સ્પીલ વે માં 27516, બાય પાસ આઉટ લેટમાં 600 જમણા કાંઠાની કેનાલમાં ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ કારણે અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના વાસણા બેરેજના 13 દરવાજા ખોલાયા છે. બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને સતર્ક કરાયા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગાંધીનગર જિલ્લાના ગામોને અલર્ટ કરાયા છે. ગાંધીનગર તાલુકાના 17 ગામો જ્યારે માણસાના 11 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે. જોકે, સાબરમતીમાં પાણી આવવાથી અમદાવાદને કોઈ અસર નહિ થાય. ઉપરવાસમાંથી આવતુ પાણી શહેરની બહાર સીધું નીકળી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં પૂરનો કોઈ ખતરો નથી.
રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દીવસથી વરસાદના પગલે સાબરમતી નદી ઉપર આવેલ વાસણા બેરેજમાંથી છેલ્લા બે દીવસથી આશરે 13,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં નર્મદા મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 8040 ક્યુસેક્સ, સંતસરોવરમાંથી 20012 ક્યુસેક્સ પાણી છોડવામાં આવેલ હોઇ, આજે સાંજ સુધીમાં વાસણા બેરેજ ખાતેથી આશરે 30,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવનાર છે. આથી વાસણા બેરેજની નીચેવાસમાં સાબરમતી નદી કિનારે આવેલ ગામોને તાકીદ કરવા જરૂરી સુચના અપાઈ છે. ઈન્દિરા બ્રિજથી વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઓછું કરી દેવાયું છે.
વાસણા બેરેજના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 2.5 ફૂટ અને 2 દરવાજા 2 ફૂટ તથા 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. બેરેજ માંથી 16600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં હાલ નર્મદા મુખ્ય કેનાલમાંથી 8000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પરંતું બેરેજ ખાતે નદીનું લેવલ 127.50 ફૂટ રાખવામાં આવ્યું છે.