અમદાવાદ: શહેરના ચાંદલોડિયા વિસ્તાર પાસે આવેલા વિશ્વકર્મા મંદિર નજીક બ્રિજ નીચે વહેલી સવારે હત્યાનો એક બનાવ બન્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ મૃતકનો મૃતદેહ લઈને સીધો સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની એક અજીબ ઘટના સામે આવી. જ્યાં ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પરંતુ હત્યા કરવાનું પ્રાથમિક કારણ સાંભળતા કદાચ તમે પણ ચોકી જશો. હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ છે. હત્યાના બનાવમાં મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ અને હથિયારો વેદાંત બંને મિત્રો જ હતા.
મોડી રાત સુધી ચાંદલોડિયા વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર પાસે બ્રિજ નીચે એક કારમાં બેઠા હતા. તે દરમિયાન કોઈ કારણોસર બંને વચ્ચે બોલચાલી થઈ અને વેદાંતે સ્વપ્નિલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. બાદમાં વેદાંતે હત્યા કરી હોવાનો સહેજ પણ રંજ રાખ્યા વગર તે મૃતક મિત્રને હોસ્પિટલ લઈ જવાને બદલે સીધો કારમાં પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યો હતો.
આ ઘટના અંગેની હકીકત સાંભળતા પોલીસ પણ ચોકી ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશન બેસાડી મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જોકે મિત્ર વેદાંત સાથે તેની મિત્રતા જૂની હોવાથી એકબીજા સંપર્કમાં હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. પરંતુ રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસના સમયગાળામાં સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી.
જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ ગયો અને સ્વપ્નિલને કારમાં જ તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હાલ સોલા હાઇકોર્ટ પોલીસે પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી વેદાંતની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે વેદાંતની સઘન પૂછપરછ બાદ જ, સામે આવશે કે ખરેખર સ્વપ્નિલ પ્રજાપતિની હત્યા કયા કારણોસર કરી.