Gujarat Corona Death : ગુજરાતમાં કોરોના ફરી વકર્યો છે. ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકતા જ ફરી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે. ત્યારે અઢી મહિના બાદ સુરતમાં કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં કોરોનાથી 2023 નું પ્રથમ મોત નોંધાયું છે. સુરતના કપોદરા વિસ્તારની 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નિપજ્યું છે.
સુરતના કપોદરા વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધાને કોરોના થયો હતો. વૃદ્ધાને છેલ્લાં 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેમના પગમાં સોજા પણ આવી ગયા હતા. ત્યારે પરિવારના તમામ સાત સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ લેવાયા હતા. પરિવારના 15 વ્યક્તિના ટેસ્ટ કરાયા પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે જ દિવસમાં સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. જેમાં સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ
મહત્વનું છે કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સામે પક્ષે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.
H1N1 શમ્યો ત્યાં H3N2ના કેસ વધ્યા
સુરતમાં H3N2ના કેસોએ ઉથલો માર્યો છે. લોકો શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યાં છે. જેમાંથી 10% દર્દીઓને દાખલ કરવાની નોબત આવી છે. આ દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળ્યા છે. જો H3N2 વાયરસ ફેફસાંમાં ઈન્ફેક્શન પહોંચે તો જીવનું જોખમ ઉભું થાય છે. ઈન્ફ્લુએન્ઝા H3N2 શંકાસ્પદ લક્ષણના દર્દી વધ્યા છે.