સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો અને પરિસરથી 100 મીટરના અંતરે જ જાહેરમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે, જાહેરમાં બે યુવક છરી વડે હત્યાના આરોપી પર તૂટી પડે છે અને માત્ર 30 સેકન્ડમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી ફરાર થઈ જાય છે.
આ ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે કોર્ટ પરીસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીનેતીક્ષ્ણ હથિયાર વડે સુરજ યાદવ નામના યુવક પર હુમલો કર્યો જેમાં તેની હત્યા કરવામાં આવી છે. સુરજ યાદવ હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી તે માટે આવ્યો હતો. અજાણ્યા બે યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. આ બંને યુવકો કોણ છે અને શા માટે તેની હત્યા કરી તેને લઇ તેમને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કરનાર બંનેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.