જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલાની તપાસ NIA કરશે. NIAની પાંચ સભ્યોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા આજે ઘટનાસ્થળે જશે. ગુરુવારે આર્મી ટ્રક પર થયેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે. હુમલો ત્યારે થયો ત્યારે સેનાની ટ્રક ભીમ્બર ગલીથી પુંછ તરફ જઈ રહી હતી. આ ઘટના બાદ સુરક્ષા દળોએ દરેક જગ્યાએ શોધખોળ શરૂ કરી દીધી છે અને ડ્રોનની મદદથી જંગલના દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. પાપ્ત વિગતો મુજબ આ હુમલો ત્રણથી ચાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ વિગતો મુજબ હુમલો કરતા પહેલા વિસ્તારની રેકી કરવામાં આવી હતી.
આતંકીઓએ હુમલા બાદ ભાગી જવા માટે સંપૂર્ણ રૂટ પ્લાન પણ તૈયાર કર્યો હતો સાથે જ ઘટનાસ્થળેથી ગોળીઓ પણ મળી આવી છે. આ બુલેટ ખૂબ જ ઘાતક છે તે બુલેટ પ્રુફ જેકેટમાં પણ ઘૂસી જવાની ક્ષમતા ધરાવે છે. વિગતો મુજબ ગ્રેનેડ હુમલા બાદ આતંકીઓએ સ્ટીલની ગોળીઓથી ફાયરિંગ કર્યું હતું. વિગતો મુજબ ટ્રકમાં આગ લાગ્યા બાદ પણ આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
જૈશના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ હુમલાની કબુલ્યો છે. આ આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. 2019માં PFF જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું છે. આ સંગઠન 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ ચર્ચામાં આવ્યું હતું અને ત્યારથી તે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે. PAFFએ મે મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠક અંગે પણ ચેતવણી આપી હતી