ગાંધીનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે. જેમાં સગી જનેતાએ બાળકોની જિંદરી નર્ક સમાન કરી નાખી છે.ગાંધીનગરનાં સેકટર – 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી પરિણીતાના અવૈધ સંબંધોનો ભાંડો ફૂટી જતાં તેણે પોતાના પતિને તરછોડી દઈ બે સગીર સંતાનોની હાજરીમાં લોહીનો વેપાર શરૂ કરી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી પિતાની ગેરહાજરીમાં રોજ અજાણ્યા પુરુષો ઘરે આવતાં 16 વર્ષની સગીરાએ માતા સામે અવાજ ઉઠાવતા આજે તેણીને ગાંધીનગરના આશ્રય ગૃહમાં રહેવાનો વખત આવ્યો હોવાનો લાંછન રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પત્નીને ઘર સંસાર ઠાઠથી જીવવો હતો. પત્નીના વર્તન અને રહેણી કરણીમાં ફેરફાર આવવા લાગ્યો હતો. પતિ નોકરીએ જતો ત્યારે પત્ની સંતાનોને મૂકી ઘરેથી નીકળી જતી હતી. આખો દિવસ સ્વછંદી જીંદગી વિતાવી પતિનાં ઘરે આવવાના સમયે પરત ઘરે આવી જતી હતી.
એક દીવસ પતિ સમક્ષ બધો ભાંડો ફૂટતા ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો. આ તરફ ધીમે ધીમે સંતાનો મોટા થવા લાગ્યા હતા, પણ પત્નીની જીવન શૈલીમાં કોઈ ફરક પડતો ન હોવાથી એક દિવસ પતિએ કંટાળીને મારઝૂડ કરી એટલે પત્નીએ કાયદાનું શસ્ત્ર ઉઠાવી લીધું હતું અને એ સમયે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે દંપતી વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું.
આમ થોડા દિવસ બરોબર બધું ચાલતું રહ્યું હતું, પણ પત્ની પાછું એજ જીવન જીવવા માંડી હતી.ઘરમાં અનહદ ઝગડા વધતા આ વખતે પત્નીએ કાયદાનું શસ્ત્ર છોડી પતિને તરછોડી દીધો હતો.એ સમયે પતિએ વતન વિરમગામ જતાં બન્ને બાળકોનો કબ્જો પણ માંગ્યો હતો, પરંતુ પત્નીએ ભરણ પોષણ મેળવાની લાલચમાં સંતાનો આપ્યા નહીં અને કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. આથી નાછૂટકે પિતાને બે સગીર બાળકોને મૂકીને પોતાના માતા પિતા સાથે વીરમગામ રહેવા જવા સિવાય કોઈ આરો બચ્યો ન હતો.
ધોરણ – 10 માં અભ્યાસ કરતી આ સગીર દીકરી બધું સમજવા લાગી. ઘણીવાર ઘરે આવતાં પુરુષો તેની સામે પણ ભૂખ્યા વરુની માફક લાળ ટપકાવતા. આ બધું સગીરા માટે અસહ્ય બની ગયું હતું. તેણે માતા સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું. જેનાં ફળસ્વરૂપે રોજ માતાનો માર પડવા લાગ્યો. આ બધું એટલી હદ સુધી પહોંચ્યું કે માતા મારઝૂડ કરીને સગીરાને રૂમમાં પુરીને ઘરેથી નીકળી જવા લાગી અને દસ વર્ષનો ભાઈ આખો દિવસ રઝળવાં લાગ્યો હતો. ફરી એકવાર આજ ઘટનાનું પુનરાવર્તન થયું અને આખરે કંટાળીને સગીરાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી.
બાદમાં સગીરાનાં પિતાને ઘણાં ફોન કર્યા હતા, પરંતુ તેઓનો ફોન સતત બંધ આવતો હતો. આમ દીકરીને પણ તરછોડી દેવાની માતાની વાતો સાંભળી અભયમ ટીમ પણ સ્થિતિ પારખી ગઈ. બાદમાં ચિલ્ડ્રન હેલ્પ લાઈનને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવી. તો સગીરા પણ માતા સાથે રહેવા માંગતી નહીં હોવાથી અભયમની ટીમ દ્વારા તેને સખી વન સ્ટોપનાં આશ્રય ગૃહમાં આશરો અપાવ્યો.